Dr. Nimit Oza
Back to Books
અજવાળાનો ઓટોગ્રાફ
Inspirational

અજવાળાનો ઓટોગ્રાફ

Gujarati

આપણા મગજનું ‘ડિફોલ્ટ મૉડ નેટવર્ક’ આપણને હંમેશાં નૅગેટિવ બાબતો અને વિચારો તરફ આકર્ષિત કરે છે. નૅગેટિવિટી આપણા સ્વભાવમાં છે. આપણા સબ-કૉન્શિયસ માઈન્ડમાં છે. આપણી fb પોસ્ટ કે ફોટા પર આવેલી 99 સારી કમેન્ટ્સને ભૂલી જઈને આપણું મન ફક્ત પેલી એક નૅગેટીવ કમૅન્ટમાં અટવાયા કરે છે. આ ‘નૅગેટિવિટી Bias’ છે અને આ જ આપણી પ્રકૃતિ છે. આમાંથી બહાર આવવા માટે આપણે બૌદ્ધિક અને વૈચારિક પ્રયત્નો કરવા પડે છે. ‘ઑપ્ટિમિઝમ મસલ’ વિકસાવવું પડે છે. જે રીતે જીમમાં જઈને આપણે વર્ક-આઉટ કરીએ છીએ અને બાયસેપ્સ કે એબ્સના મસલ્સ બનાવીએ છીએ, એ જ રીતે આપણા મનમાં ‘ઑપ્ટિમિઝમ’ એટલે કે આશાવાદ માટેનું એક ‘મસલ’ રહેલું હોય છે. પૉઝિટિવ વિચારતા થઈ જવું, એ કોઈ રાતોરાત થતી પ્રક્રિયા નથી. એને માટે જીમ જેટલો જ પરિશ્રમ કરવો પડે છે. પરિસ્થિતિ ક્યારેય સારી કે ખરાબ નથી હોતી. એ પરિસ્થિતિ પ્રત્યેનું આપણું રિઍક્શન સારું કે ખરાબ હોય છે. પરિસ્થિતિ કે સંજોગો નિર્જીવ હોય છે. આપણો સારો કે ખરાબ અભિગમ એમાં જીવ રેડતો હોય છે. એ પરિસ્થિતિ પ્રત્યેનો આપણો સારો કે ખરાબ દૃષ્ટિકોણ એને ઊર્જા અને વેગ આપે છે. આપણું આખું જીવન સારી કે ખરાબ ઘટનાઓના આધારે નહીં, પરંતુ આપણા જીવનમાં બનતી ઘટનાઓ પ્રત્યેના આપણા સારા કે ખરાબ અભિગમોથી નક્કી થતું હોય છે. દરેક દુઃખ આવનારા સુખનો પગરવ છે અને દરેક પીડા આવનારી નિરાંત અને રાહતના ભણકારા. આપણાં દરેકના જીવનમાં કેટલાંક એવાં પ્રકરણો હોય છે, જેનાં પાનાંઓ અંધારાની શ્યાહીથી છપાયેલાં હોય છે. ઈશ્વરને એવી જ પ્રાર્થના કે જીવનના એ અંધકારમય પાનાંઓમાંથી પસાર થતી વખતે, એ પાનાંઓમાં ક્યાંક ઢંકાઈ અને છુપાઈ ગયેલો અજવાળાનો ઑટોગ્રાફ આપણે વાંચી શકીએ.

Available At